હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેના વિષે કહેવામાં આવી રહ્યું છે કે તે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રાઈમ બેંકની બ્રાંચનો છે. તેમાં એક વ્યક્તિ બેંકમાં 1000 રૂપિયાની કિંમતના 10 રૂપિયાના સિક્કા જમા કરાવવા માટે ગયા હોય છે. તે વ્યક્તિ સાથે બેંક કર્મચારી લૂખી દાદાગીરી કરે છે, અને સિક્કા નહિ લેવાય એવું કહે છે.
વિડીયોમાં દેખાય છે એ મુજબ સિક્કા જમા કરાવવા ગયેલ વ્યક્તિ કર્મચારીને પૂછે છે કે આ સિક્કા લેશો કે નહિ? પણ કર્મચારી તેને અવગણે છે. થોડા સમય પછી તે સિક્યોરિટી ગાર્ડને બોલાવે છે. વ્યક્તિના કહેવા મુજબ તે અઠવાડિયાથી સિક્કા જમા કરાવવા પ્રયત્ન કરે છે, પણ બેંક વાળા સિક્કા લેતા નથી. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થયા પછી લોકો તેના પર કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ બાબતે એક ભાઈનું કહેવું છે કે, બેંકે સિક્કા લેવા તો જોઈએ પણ ગણવામાં સમય બહુ બગડે અને બીજા ગ્રાહકોને લાઈનમાં સમય બગડે.
એક ભાઈ કહે છે કે, આવા સિક્કા માટે અમુક ચોક્કસ દિવસે સમય ફાળવવામાં આવે તો વાંધો ન આવે.
એક ભાઈનું કહેવું છે કે, આવા કર્મચારીઓના લીધે જ ખાનગીકરણ થાય છે ને ખાનગી કરણ થવું જ જોઈએ તો જ આવા નફ્ફટ કર્મચારીઓની શાન થેકાણે આવશે.
અન્ય એક વ્યક્તિનું કહેવું છે કે, જે બેંક કે અન્ય સંસ્થા ભારત દેશનું રાષ્ટીય ચલણ સ્વીકાર ના કરે તો તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપો. બધાની અક્કલ ઠેકાણે આવી જશે.
ઘણા લોકોનું માનવું છે કે, આ અધિકારને સસ્પેન્ડ કરવો જોઈએ.
એક ભાઈએ કહ્યું કે, વેપારીઓ 10 રૂપિયાના સિક્કા લેવાની ના પાડે તો કેસ થાય, અને બેંક વાળા ના લે તો કાઇ ના થાય.
એક વ્યક્તિએ જણાવ્યું કે, ભાઈ આ સિક્કા લોકોની સગવડતા માટે બનાવવામાં આવેલ છે, બેકમાં ભરીને બેંકને કોઈ કામ લાગે નહીં, બેંકને આના માટે જગ્યા અને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ પડે. અને આનો મુખ્ય ઉદ્દેશ માર્કેટમાં છુટાની અગવડતા ના રહે એના માટેનો છે, માટે બેંક વાળા નથી લેતા. ભાઈ તું બેંકમાં 10000 રૂપિયા ઉપાડવા ગયો હોય ને તને 10-10 ના 1000 સિક્કા પકડાવી દેશે, એ બેંક વાળા કહેશે કે તમારે લેવા જ પડે તો કેવું લાગશે.
એક ભાઈનું કહેવું છે કે, સિક્કા લેતા નથી બેંકમાં તો શું કામ ચલણમાં છે?
ઘણા લોકોનું કહેવું છે કે, ભારત સરકારના વેલીડ સિક્કા લેવાજ જોઈએ. ના લે તો કારણો પૂછવા જોઈએ અને લેખિતમાં લેવુ જોઈએ.
અન્ય એક વ્યક્તિ કોમેન્ટમાં લખે છે કે, આની બીજી બાજુ એવી છે કે, આ સિક્કા બેંક કર્મચારી જો કોઈ ગ્રાહક 1000 રૂપિયા ઉપાડવા આવ્યો હોય તેને આપે તો તે ગ્રાહક પણ લેવાની ના પાડશે. ત્યારે બેંક કર્મચારી જો એમ કહે કે આ સરકારના વેલીડ સિક્કા છે તો બેંક કર્મચારી અને ગ્રાહકનો ઝગડો થશે.
એક ભાઈનું કહેવું છે કે, ભાઈ…. એ ભાઈ પોતાની નોકરી કરી રહયા છે. ને ઉપરથી એવો ઓર્ડર હોઈ. તમને વંધો હોઈ તો બેંક મેનેજર અને બેંક વિરૂદ્ધ ફરીયાદ કરો. બિચારા નોકરી કરવા વારાનો વિડીયો ઉતારીને એને કેમ બદનામ કરો.
એક વ્યક્તિએ કહ્યું કે, લાગતા વળગતા કલેકટર શ્રી ને આ બાબતે ફરિયાદ કરો.
એક ભાઈએ કોમેન્ટ કરી છે કે, જો રકમ 1000 થી વધુ હોય તો બેંક પાસે ના કહેવાનો અધિકાર છે.
એક ભાઈનું કહેવું છે કે, આ વ્યક્તિને તેની સેવામાંથી કાઢી મૂકવો જોઈએ. તે આરબીઆઈના ગવર્નર સામંત દાસ નથી, તે કોઈપણ કિંમતે તેને નકારી શકે નહીં, તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો જોઈએ.
અન્ય એક વ્યક્તિએ કહયું, RBI ની વેબસાઈડ પર તેની ફરિયાદ કરો અક્કલ ઠેકાણે આવી જશે. કોઈપણ બેંકર દાદાગીરી કરે તો તેની RBI ને ફરિયાદ કરવાનું કહો, તે ચુપચાપ કામ કરશે કારણ કે RBI ને જવાબ આપવો પડશે. અને તેમની પાસે જવાબ નહીં હોય. હું પણ આવું જ કરું છું.
એક વ્યક્તિનું કહેવું છે કે, મારે કોઈની તરફદારી નથી કરવી પણ જો કોઈ દુકાનવાળો સિક્કા લેવાની ના પાડે તો આપણે છાના માના સિક્કા ખીસામાં નાખીને મીંદડીની જેમ પાછા આવી જઈએ છીએ. ખાલી બેંક નહિ પણ જે માણસ સિક્કા લેવાની ના પાડે છે એ બધાયના વિડીયો ઉતારો. એક ખોટી આ-ફ-વાને લીધે કોઈ 10 ના સિક્કા લેવા તૈયાર નથી થતું, હવે આમાં શું સમજવાનું.
આ ખુબ મોટી સમસ્યા છે. 10 ની નોટોની અછત છે છતાંય લોકો સિક્કા લેવા તૈયાર નથી. તો પ્લીઝ એક વિડીયો બનાવી લોકોમાં થોડી જાગૃતિ લાવો કે 10 ના નકલી સિક્કાઓની વાત માત્ર એક અ-ફ-વા હતી, જો કોઈ તમને સિક્કા આપે તો સ્વીકારો. આપોઆપ લોકો સિક્કા લેતા થઇ જશે. ખાસ કરીને ગામડામાં, જ્યાં હજુ પણ લોકો 10 ના સિક્કા લેવાની તરત ના પાડે છે.
આ બાબતે તમે પણ તમારું મંતવ્ય રજુ કરી શકો છો.